સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ નારાયણનગરમાં આવેલ જગ્યામાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નારાયણનગરના ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો મુકવામાં આવ્યા હતા. જોકે આ વાહનોમાં અચાનક આગ લાગતાં સાથે રહેલા અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 15 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જેમાં રીક્ષા, ટેમ્પો અને ફોરવ્હીલમાં આગ લગતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વાહનોમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.