તેરી ગલીયો મે બાર બાર રખેંગે કદમ : વારાણસી

Update: 2019-01-25 07:17 GMT

૨ થી ૪ ફૂટ પહોળી ગલીમાં સેંકડો માણસો આવન-જાવન કરે, સ્કુટર, મોટર બાઈક પર ત્રણ સવારી પસાર થાય, સવાર થી મોડી રાત સુધી દિવાળીનાં જેવી રોશનીથી ઝગમગે છે. વારાણસી વરૂણા અને અસિ નદીની વચ્ચે વસેલું આ શહેર જેણે મનભરીને નમોને ખોબલે ખોબલે મત આપી ભારતના વડાપ્રધાનને લાયક બનાવ્યા હતા.

બ્લોગની શરૂઆતમાં મેં જે ગલી અને તેની પહોળાઈની વાત લખી એ ગલી માંથી હાથી પણ આવે તો એ પસાર થઇ જાય અને બધો વ્યવહાર ચાલુ રહે.

દૂધ, દહીં અને ઘીની નદીઓ વહેશે એવો આખો વારાણસીનો માહોલ. શુદ્ધ શાકાહારી વાનગીઓના રસથાળ.

વારાણસી મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે, એવું સાંભળવું ત્યારે એક ક્ષણ માટે ધડકન અટકી પડે, બોર્ડર સિક્યુરીટી ફોર્સ, પોલીસ, પેરા મીલિટરી સ્ટાફ કાશી વિશ્વનાથ મંદિરની જેમ નજીક જાવ કે ૧૦ ડગલા ચાલો એટલે તમારૂ માથા થી પગ સુધીનું ચેકિંગ કરે. કાશી વિશ્વનાથ મંદિરની દિવાલને અડીને જ્ઞાનવ્યાપી મસ્જીદની સુરક્ષા માટે વહીવટીતંત્ર તૈનાત.

‘મથુરા ઔર કશી ભી લેંગે’ સૂત્રો હિંદુઓનાં કાનમાં ગુંજતા વગર રહે નહિ.

કચોરી, પડિયા ( દડિયા ) માં પીરસાય, ખાટી મીઠી ચટણી, બાફેલા ચણા, વટાણાની કઢી આંગળા ચાંટી ચાંટીને લોકો ખાય. કેસર, ખસ, વરખ, મીઠા પાન, મોઢામાં ઓગળી જાય અને પાણી ના પીયો ત્યાં સુધી પાનની ખુશ્બુ આવ્યા કરે.

૬૦ હજાર ગુજરાતીઓની વસ્તી ધરાવતું વારાણસી જ્યાં બે બાય પાંચ ફૂટની દુકાનની પાઘડી લાખોમાં બોલાય. આ દુકાન જવેલર્સ, સિલ્કની સાડીઓ, બનારસી પાન, વાસણો, પૂજાપાનો સામાન, એન્ટિક વસ્તુઓ, મિષ્ટાન, ખાદ્ય પદાર્થ, જથ્થાબંધ પાનના વેપારી જે ટોપલા લઈને બેઠા હોય.

ખઈ કે પાન બનારસવાલા ગીત સ્મરણપટ પર ગુંજે છે. છેલ્લા ૧૨ કલાકમાં સાત જાતની ફ્લેવરવાળા પાન અમે ખાઈ ચૂક્યા છીએ.

ગંગા ઘાટ પર આરતી બોટમાં બેસીને જોઈ, નિ:શબ્દ, સતત ૪૫ મિનિટ આરતી ચાલે, પાંચ અને સાત ભવ્ય કપૂરની આરતીઓ એમની આગળ નગારૂં વગાડે, એક સરખું, લયબદ્ધ આરતી કરનારા અને નગારૂં વગાડનારા બાળકોને સાષ્ટાંગ પ્રણામ.

મણિકર્ણિકા ઘાટ જેમાં એક સેકંડના ગેપ વગર સતત અગ્નિસંસ્કાર ચાલુ વર્ષોથી રાત-દિવસ ચાલુ રહેશે. વયોવૃદ્ધિ અહીં આવીને રહે કે હવે અંતિમ ક્ષણને મહિનાઓ કે દિવસો બાકી છે, એમના અગ્નિદાહ અહીં અપાય. ‘સુરતનું જમણ.....કાશીનું મરણ’ એ કહેવતને નજરોનજર નિહાળી, ધન્યતા અનુભવું છું.

હમ પાંચ : કમલેશભાઈ, દર્શનાબહેન વડોદરિયા, તેજલબહેન, ગીતેશભાઈ અને હું કુંભ પ્રયાગમાં ફરતા હતા ત્યારે એ જ વાત દોહરાવતા કે કુંભ મેળામાં ખોવાય જવાય એવું ફિલ્મોમાં જોયું હતું. હવે મોબાઈલના કારણ શક્ય નથી.

Tags:    

Similar News