દેશમાં રોજબરોજ બનતા માર્ગ અકસ્માતોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા કારમાં સેફટીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ વર્ષ 2019 સુધીમાં તમામ કાર સેફટી ફિચર્સથી સજ્જ હશે.
જાણવા મળ્યા મુજબ હાલમાં ભારતના રસ્તાઓ પર દોડી રહેલી કારમાં સેફટી ફિચર્સ વગરની કારનો પણ સમાવેશ થાય છે. જેમાં સુરક્ષાને લગતી સિસ્ટમ જેવીકે એરબેગ્સ, ABS સિસ્ટમ સહિતની જરૂરી સુવિધાઓ હોતી નથી અને આ કારના ભાવો પણ ઓછા હોય છે, તેથી લોકો પણ આવી કાર ખરીદવા માટે પ્રેરાય છે.
જોકે કેન્દ્ર સરકાર દ્વારા રોડ અકસ્માતોમાં થતો મૃત્યુ આંક રોકવા માટે કારમાં સેફટી ફિચર્સને અપગ્રેડ કરવા માટે કાર ઉદ્યોગોને સૂચનાઓ આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જેમાં વર્ષ 2019 સુધીમાં કારમાં એરબેગ્સ, એન્ટી લોક બ્રેક સિસ્ટમ (ABS), સ્પીડ વોર્નિગ સિસ્ટમ જેવી સુવિધાઓ વાળી કાર જ ઉત્પાદિત કરવામાં આવશે, જેના પરિણામે રોડ અકસ્માતોમાં થતા મૃત્યુ આંકને અંકુશમાં લાવી શકાશે તેમ જાણવા મળ્યુ છે.