WhatsApp જેવા માધ્યમોને કાબૂમાં રાખવાની સાથે સરકાર કાયદાની મદદથી ગુનેગારો સુધી પહોંચશે
દેશભરમાં બાળકોની ચોરીના કારણે ટોળા દ્વારા હિંસા થઇ રહી છે ત્યારે સરકારે વૉટ્સએપને પણ બેજવાબદાર અને ભડકાઉ મેસેજ પર લગામ રાખવાની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે
વૉટ્સએપને આકરા શબ્દોમાં જણાવ્યું છે કે, વૉટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત ખોટા અને નકલી મેસેજ મોકલવામાં આવી રહ્યા છે જેના કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, ફેસબૂકની માલિકીની કંપની વૉટ્સએપ પણ જવાબદારીમાંથી છટકી શકે નહીં.
મહારાષ્ટ્ર, ગુજરાત, ત્રિપુરા, આસામ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યોમાં ટોળા દ્વારા નિર્દોષોને રહેંસી નાંખવાની અત્યંત કમનસીબ ઘટનાઓ સામે આવી છે. આ ખૂબ જ દુ:ખદ બનાવો છે. વૉટ્સએપ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ વારંવાર ખોટા સંદેશ પહોંચાડવા માટે કરાઈ રહ્યો છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.
આ બાબતની વાત કરીને મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, વૉટ્સએપ સહિતના કોઈ પણ પ્લેટફોર્મ પરથી ખોટા મેસેજ મોકલાતા હોવાની બાબતને અમે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ માટે અમે વૉટ્સએપના ઉચ્ચ મેનેજમેન્ટને સૂચન કરીએ છીએ કે, આ પ્રકારની અફવાઓ, ભડકાઉ અને ચોક્કસ હેતુથી તૈયાર કરાયેલા ખોટા સંદેશા ફેલાતા રોકવા માટે જરુરી પગલાં લે.
આ દુષણને રોકવા માટે વૉટ્સએપ તાત્કાલિક કોઈ ટેક્નોલોજીની પણ મદદ લે. આ ઉપરાંત મંત્રાલયે કહ્યું હતું કે, આ ઉપરાંત અમે કાયદાની મદદથી પણ આ પ્રકારની હિંસા ફેલાવતા ગુનેગારો સુધી પહોંચીશું. કેટલાક લોકો ફક્ત અરાજકતા ફેલાવવા સતત વૉટ્સએપ પર ખોટી વાતો ફેલાવી રહ્યા છે, અને ઘણાં સમયથી વૉટ્સએપ પર ખોટા મેસેજ ફોરવર્ડ કરવાના દુષણમાં વધારો થયો છે.
ટોળા દ્વારા કરાતી હિંસા મુદ્દે કોંગ્રેસના વડાપ્રધાન પર પ્રહાર 'મન કી બાત'માં ટોળા દ્વારા કરાતી હિંસાની વાત કેમ નથી કરતા? : સિબલ અરાજકતા, જંગલ રાજ અને ટોળાશાહી એ 'ન્યૂ ઈન્ડિયા'ના પ્રતીક છે : કોંગ્રેસ દેશભરમાં બાળકો ચોરવાની અફવા કે ગૌરક્ષાના નામે ટોળાએ અનેક લોકોની હત્યા કરી છે. છેલ્લાં એક જ મહિનામાં સોશિયલ મીડિયામાં બાળકો ચોરવાની અફવાઓ પછી અનેક રાજ્યોમાં ટોળાએ કુલ ૨૮ લોકોની હત્યા કરી દીધી છે.
આ મુદ્દે કોંગ્રેસના નેતા કપિલ સિબલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. કપિલ સિબલે કહ્યું હતું કે, વડાપ્રધાન 'મન કી બાત'માં ટોળા દ્વારા કરાતી હિંસા ડામવાની વાત કેમ નથી કરતા? આઝાદીના ૭૦ વર્ષમાં દેશમાં આ પ્રકારની હિંસા થઇ નથી. દેશમાં ચારેય તરફ નફરતનું વાતાવરણ છે, જેના કારણે ટોળું અફવાઓ સાચી માનીને નિર્દોષોની હત્યા કરી રહ્યું છે. આ પ્રકારની ગુનાખોરી સામે પણ સરકાર ચૂપકિદી રાખીને બેઠી છે.