અંકલેશ્વર : કાગદીવાડમાં પતિએ પાઇપ મારી પત્નીની કરી હત્યા અને પછી પોતે ખાઇ લીધો ફાંસો

New Update
અંકલેશ્વર : કાગદીવાડમાં પતિએ પાઇપ મારી પત્નીની કરી હત્યા અને પછી પોતે ખાઇ લીધો ફાંસો

અંકલેશ્વરના કાગદીવાડમાં સામાન્ય ઝગડામાં પતિએ ઉશ્કેરાયને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતાં ચાર સંતાનો ક્ષણભરમાં અનાથ બની ગયાં છે...



રાજયમાં છેલ્લા ઘણા સમયથી પરિવારમાં એકબીજાની હત્યા કરી પોતે આપઘાત કરી લેવાના કિસ્સા વધ્યાં છે. વડોદરાનો સોની પરિવાર હોય કે પછી આણંદનો પરિવાર.. અંકલેશ્વરમાં પણ હવે આવી જ કરૂણ ઘટના બની છે. સમગ્ર ઘટના પર નજર નાંખવામાં આવે તો અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતાં હબીબ ઉલ રહેમાન કાગઝી પોતાની પત્ની સાહીનબાનુ શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપત્તિને ચાર સંતાનો છે. રવિવારના રોજ પતિ અને પત્ની વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલાં હબીબ ઉલ રહેમાને જમવાનું બનાવી રહેલી તેની પત્ની સાહીન પર હુમલો કરી દીધો હતો. હબીબે તેના માથામાં લોખંડનો પાઇપ મારી દેતાં તે ઢળી પડી હતી અને આખો ઓરડામાં લોહી પ્રસરી ગયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ હબીબ પણ મકાનના બીજા માળે ચાલ્યો ગયો હતો અને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ મૃતક સાહિનના પરિવારને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવતાં તેમણે કાગદીવાડમાં પહોંચી તપાસ કરતાં તેમના માથે આભ તુટી પડયું હતું.


રવિવારની રજામાં સૌ કોઇ પોતાના ઘરે હતાં પણ કાગદીવાડમાં બંધ બારણે ખુની ખેલ ખેલાયો હતો. બનાવની જાણ થતાં શહેર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઇ ગુલામ મહંમદે પણ બંને વચ્ચે કોઇ ખટરાગ હોવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે ઝગડો કઇ બાબતે થયો તે તપાસનો વિષય બન્યો છે. પતિ અને પત્નીના નજીવા ઝઘડામાં ખેલાયેલ ખૂની ખેલમાં ચાર બાળકોએ ક્ષણભરમાં માતા અને પિતાનું છત્ર ગુમાવી દીધું છે. હવે તેમના પરવરીશની જવાબદારી કોણ લેશે સહિતના અનેક સવાલો ઉભા થયાં છે...

Latest Stories