અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 16માં એઆઈએ – ઇન્ડસ્ટ્રીયલ એક્સપો – 2026નું આયોજન તારીખ 16,17, અને 18 એપ્રિલ-2026 (ત્રણ દિવસ) દરમિયાન યુટિલિટી પ્લોટ નંબર 2, ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ સામે, જીઆઇડીસી, અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું છે.1.20 લાખ સ્કેવર ફૂટ લેન્ડસ્કેપ એરિયામાં યોજનારા આ મેગા પ્રદર્શનમાં નાના-મોટા થઈને 125થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મુલાકાતીઓ મુલાકાત લઇ શકશે.
આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રેસિડેન્ટ અને સીએચઆરો મનોજકુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ પ્રા.લી. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.કે.રાણા, કોહિઝોન લાઈફ સાયન્સ લી.ના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સી.બી.ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવશે.આ સમારંભ દરમિયાન એ.આઈ.એ. આનંદપુરા ટ્રોફી વિતરણ કાર્યક્રમ પણ યોજાશે.જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગીતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.

આ એક્ઝિબિશનમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટિસાઇડ્સ, ઓઇલ એન્ડ લુબ્રિકન્ટ્સ, એન્જિનિયરિંગ ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ વિગેરે ઉદ્યોગોએ ભાગ લીધો છે. આ એ.આઈ.એ. ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે ઇચ્છાપોર સુરત, જામનગર, દહેગામ, ગાંધીનગર, કઠવાડા, મકરપુરા, રનોલી, સચિન, સાવલી, સારીગમ, ઉમરગામ, વાલિયા, વલસાડ, વિઠ્ઠલઉદ્યોગ નગર, વાઘોડિયા, સાણંદ, છાત્રાલ વાપી, વટવા, નંદેસરી, દહેજ, ઝઘડિયા, પાનોલી, નરોડા, ભાવનગર, ઓઢવ, સાયખા, વિલાયત તેમજ આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે, તેવી અપેક્ષા છે.
આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જુદા જુદા પ્રોજેક્ટોમાં જેઓએ ઉદાર હાથે દાન કર્યું છે, તેવા દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેઓને એપ્રિશીએશન સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.
તદ્ઉપરાંત આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં જેઓએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે વિશિષ્ટ સેવાઓ આપી છે, તેમને પણ એપ્રિશીએશન સર્ટિફિકેટથી કરવામાં આવશે.
આ એક્ઝિબિશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં વિજિટર્સે www.ankleshwarexpo.com પર જઈને ફરજિયાત નોંધણી કરવાની રહેશે અને QR Code સ્કેન કરીને પ્રવેશ આપવામાં આવશે.
