• અંકલેશ્વરના અંદાડા નજીક બની હતી ઘટના

  • શ્રીજીની આગમન યાત્રા દરમ્યાન સર્જાય દુર્ઘટના

  • ડી.જે.ના ટેમ્પો ચાલકે કચડતા બાળકીનું નિપજ્યું હતું મોત

  • ટેમ્પો ચાલક અને ડી.જે.ના માલિકની પોલીસે કરી ધરપકડ

  • 3 બાળકોને પહોંચી હતી ઇજા

અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર શ્રીજીની આગમન યાત્રા દરમિયાન ડી.જે.નો ટેમ્પો પાછળ નાચી રહેલ બાળકોને અડફેટે લઈ બાળકીનું મોત નિપજાવનાર ટેમ્પો ચાલક સહિત 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવિણ રમાકાંત સિંગ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો.આગમન યાત્રા દરમિયાન પ્રવિણસિંગની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઇજાના પગલે પાંચ વર્ષય નવ્યાનું મોત નીપજ્યું હતું જ્યારે 3 બાળકોને ઇજા પહોંચી હતી. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડી.જે.ના માલિક રાકેશ પટેલ અને ટેમ્પો હંકારી રહેલ ચિરાગ વ્યાસ સામે ગુનો નોંધાતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. ચિરાગ વ્યાસ ડ્રાઇવિંગ ન જાણતો હોવા છતાં રાકેશ પટેલે તેને ટેમ્પો સોંપી દેતા આ દુર્ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઇ હતી.