ભરૂચ: વાગરાના સડથલા ગામે દીવાલ ધરાશાયી થતા છ વર્ષીય બાળકનું મોત

New Update
ભરૂચ: વાગરાના સડથલા ગામે દીવાલ ધરાશાયી થતા છ વર્ષીય બાળકનું મોત

વાગરાના સડથલા ગામે અવાવરું ઘરની દિવાલ પડતા નજીકમાં રમતા છ વર્ષીય બાળક રોહનનું મોત નીપજ્યુ હતુ. ઘટના સ્થળે ગામ લોકો દોડી જઇ તૂટેલી દિવાલ હટાવી રોહનને બહાર કાઢતા તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વાગરાના સડથલા ગામે ગતરોજ સાંજના સમયે નવી નગરી વિસ્તારમાં અવાવરું ઘરની દિવાલ ધરાસાઈ થવાની ઘટના બની હતી. દીવાલ નજીક ફળિયાના કેટલાક નાના છોકરાઓ રમતા હતા. જે પૈકી છ વર્ષીય રોહન રાઠોડ ઉપર દિવાલ પડતા તે દબાઈ ગયો હતો, જેને પગલે ઘટના સ્થળે ગામ લોકો દોડી ગયા હતા અને દીવાલના મલબા ને હટાવી દબાઈ ગયેલા રોહનને બહાર કાઢે એ પહેલા તેણે દમ તોડી દીધો હતો. સદનસીબે ઘટનામાં અન્ય બાળકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. બનાવને પગલે રોહનના પરિવારના આક્રંદથી આસપાસનું વાતાવરણ કરુણ બની જવા પામ્યુ હતુ. વાગરા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે આદિવાસી નેતા અને તાલુકા સદસ્ય મહેશભાઈ રાઠોડે સરકાર સામે માંગ કરતા જણાવ્યુ હતુ કે, સડથલામાં ઘણા બધા આદિવાસીઓના ઘરો જર્જરિત અવસ્થામાં છે. જેની વહીવટી તંત્ર તપાસ કરે અને સરકાર આદિવાસી પરિવારોને નવા મકાન બનાવી આપે જેથી રોહન જેવા અન્ય નિર્દોષોનો જીવ જાય નહીં.

Latest Stories