અંકલેશ્વર નજીકથી પસાર થતાં હાઇવે પર આવેલા અમરતપરા ગામ પાસેથી અજાણ્યા વ્યકતિનો ટુકડે ટુકડા કરી નંખાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને સ્થળ પરથી ટ્રાવેલ બેગ તેમજ અન્ય સામાન મળી મળતાં અજાણ્યા વ્યકતિની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના છે.

અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર અમરતપરા ગામ પાસે અવાવરૂ જગ્યામાં એક કોથળામાંથી દુર્ગંધ આવતી હોવાની માહિતી શહેર પોલીસને મળી હતી. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં અજાણ્યા વ્યકતિનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ મૃતદેહના ટુકડે ટુકડા કરી નાંખ્યાં હતાં. મૃતદેહના હાથ, ધડ સહિતના અંગો અલગ કરી બેગમાં ભરી તેનો અમરતપરા ગામ પાસે નિકાલ કરી દેવાયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં એક ટ્રાવેલ બેગ તથા કેટલાક કપડા મળી આવ્યાં હતાં. અજાણ્યો વ્યકતિ કોણ છે અને તેની કયાં કારણોસર હત્યા કરવામાં આવી છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.