ભરૂચ જીલ્લામાં વસતા ઉત્તરભારતીયો દ્વારા છઠ્ઠપૂજાના પર્વની ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી છેલ્લા 28 વર્ષથી છઠ્ઠ પુજાની પરંપરાગત રીતે ઉજવણી કરાય છે. અત્યાર સુધી આ પુજા ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે કરવામાં આવતી હતી પણ ચાલુ વર્ષે ઘાટ ખાતે ઉંડાણ વધારે હોવાથી છઠ્ઠવ્રતીઓની સલામતીને ધ્યાને રાખી સ્થળ બદલવામાં આવ્યું છે.આ વર્ષે પુજા જુના સરદારબ્રિજ અને કેબલ બ્રિજની વચ્ચે આવેલાં કનક બિહારી રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિરના ઓવારે કરવામાં આવશે.આ સ્થળે પહોંચવા માટે જુના સરદારબ્રિજના ડાબી બાજુથી નર્મદા પાર્કને સમાંતર નવો માર્ગ બનાવવામાં આવ્યો છે.દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે,ચાર દિવસીય છઠ્ઠપુજા ઉત્સવનો 28મીએ પ્રારંભ થશે. 28મીએ નહાખા, 29મીએ ખરના, 30મીએ સંધ્યા અર્ધ્ય અને 31મીએ ઉગતા સુર્યને પ્રાત :અર્ધ્ય સાથે પુજાનું સમાપન થશે.
