-
મુસ્લિમ ભાજપ વિરોધી હોવાની વાતો હવે ભૂતકાળ
-
ભરૂચ જિલ્લામાં જોવા મળી નવી તસવીર
-
મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ભાજપનો વિજય ધ્વજ
-
લઘુમતી વિસ્તારોમાં કમળ ખીલ્યું
-
વિરોધ પક્ષોના ગણિત ઉંધા પડ્યા
ભરૂચ જિલ્લાના રાજકારણમાંથી એક ખૂબ જ મોટા અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી જે ચર્ચાઓ થતી હતી કે મુસ્લિમ મતદારો ભાજપથી અંતર રાખે છે, તે ચર્ચાઓને જિલ્લાની જનતાએ સજ્જડ જવાબ આપ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોએ ભાજપના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યા છે.
ભરૂચ જિલ્લામાં રાજકીય પંડિતોના ગણિત ગરબડમાં પડી ગયા છે! ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે જનતા હવે માત્ર અને માત્ર ‘વિકાસ‘ ને વરેલી છે. ભરૂચના લઘુમતી બહુલ ગણાતા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. અંકલેશ્વરના સંજાલી અને જીતાલી બેઠકો પર ભાજપના ઉમેદવારોને મુસ્લિમ મતદારોનો ભરપૂર સાથ મળ્યો હતો.જ્યારે વાગરા અને સીતપોણ જેવી મહત્વની બેઠકો પર પણ મુસ્લિમ મતદારોએ કમળ પર પસંદગી ઉતારી હતી.એટલું જ નહીં,ઇખર, ટંકારીયા અને પાલેજ જેવી બેઠકો, જ્યાં વર્ષોથી સમીકરણો અલગ હતા, ત્યાં પણ મતદારોએ ભાજપને ખોબે-ખોબે મત આપીને વિજેતા બનાવ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે, વિરોધ પક્ષો દ્વારા ફેલાવવામાં આવતો ભય હવે દૂર થયો છે. મુસ્લિમ મતદારોએ સ્વીકાર્યું છે કે ભાજપ સરકારની યોજનાઓનો લાભ કોઈ પણ ભેદભાવ વગર દરેક સમાજ સુધી પહોંચી રહ્યો છે. આ જ કારણ છે કે, મુસ્લિમ મતદારો ભાજપ વિરોધી હોવાની ચર્ચાઓને ખુદ મુસ્લિમ ભાઈ-બહેનોએ જ મતદાન દ્વારા ખોટી સાબિત કરી દીધી છે.
આ પરિણામો ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય લખશે. ભરૂચના આ જનમત એ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે વિકાસની વાત આવે ત્યારે જ્ઞાતિ કે ધર્મ નહીં, પણ સુરક્ષા અને સુવિધા જ મહત્વની હોય છે. ભાજપના ઉમેદવારોની આ જીત એ સાથ અને વિશ્વાસની જીત છે.
