માર્ચ મહિનાથી દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહયો છે ત્યારે કોરોનાના ભયમાંથી લોકોને રાહત મળે તે માટે ભરૂચ પોલીસે નવતર અભિગમ હાથ ધર્યો છે. સોમવારની સમી સાંજે તુલસીધામ શાકમાર્કેટ પાસે પોલીસ બેન્ડે સંગીત રજુ કર્યુ હતું.
તુલસીધામ શાકમાર્કેટ ખાતે રોજના સેંકડો લોકો શાકભાજી તેમજ અન્ય વસ્તુઓ ખરીદવા માટે આવતાં હોય છે. સાંપ્રત સમયમાં દરેક માનવી કોરોનાના ભય સામે ઝઝુમી રહયો છે ત્યારે તેમનો ભય દુર કરવા અને વાતાવરણને હળવું બનાવવા પોલીસ વિભાગે એક નવતર પગલું ભર્યું હતું. લોકોની ભીડભાડથી ધમધમી રહેલાં તુલસીધામ શાકમાર્કેટ ખાતે વાલીયાથી એસઆરપી બેન્ડની ટુકડી આવી પહોંચી હતી. બેન્ડમાં સામેલ જવાનોએ સંગીતની સુરાવલી રજુ કરી લોકોને મનોરંજન પુરૂ પાડયું હતું. પોલીસના આ પ્રયોગને લોકોએ પણ આવકાર્યો હતો.