મહા શિવરાત્રિના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજના પાવન અવસરે ભક્તોએ દૂધ અને જળથી અભિષેક કરી શિવજીની આરધાન કરી હતી. આ સાથે જ શીવ મંદિરોમા વિવિધ મંડળો દ્વારા ભાંગ સહિતની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી ભાવિક ભક્તોએ ભોળાનાથના દર્શન તથા અભિષેક માટે શિવાલયો ખાતે આવી પહોચ્યા હતા. ઓમ નમ: શિવાય મંત્રના જાપથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બરફના અદભુત શિવલિંગના શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શિવમંદિરો ખાતે સવારથી શિવરાત્રી પર્વ નિમિત્તે દેવાલયોની બહાર મેળામય માહોલ જોવા મળ્યો હતો. ભાવિક ભક્તોએ ભોળાનાથને બિલીપત્ર, દુગ્ધાભિષેક કરી તેમના શુભાશિષ મેળવ્યા હતા. શિવરાત્રીના પાવન પ્રસંગે શિવજીને રીઝવવા માટે શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બન્યા હતા.
