• ભરૂચના કેલોદ ગામ નજીક આવેલો છે બ્રિજ

  • ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં

  • બ્રિજની એક દીવાલ તૂટી પડી

  • નીચે જ આવેલું છે મેલડી માતાનું મંદિર

  • બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ

ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ જતા મોટી હોનારતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિજની નીચે જ  મેલડી માતાનું મંદિર પણ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે ત્યારે તાજેતરમાં જ બ્રિજની દિવાલ ઘસી પડવાની પણ ઘટના બની હતી
ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો પૂલવાડી બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. બ્રિજ નીચે મેલડી માતા અને ભૂત મામાનું મંદિર આવેલું છે જ્યાં રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.તાજેતરમાં જ બ્રિજની એક દીવાલ ધસી પડતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.સ્થાનિકો અને મંદિરના મહંત વિજયભારતી ગોસ્વામીના જણાવ્યા મુજબ, બ્રિજ એટલો જર્જરીત છે કે પોપડા ખસી પડતાં કેટલાય ભક્તો ઈજાગ્રસ્ત થયા છે.
આ ઉપરાંત બ્રિજ ઉપરથી ટેમ્પા ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો પણ પસાર થાય છે જેના કારણે ક્યારેક પણ બ્રિજ ધરાશાયી થઈ શકે છે એવો ભય વ્યાપી રહ્યો છે.ચોમાસાની સિઝનમાં ભૂખી ખાડીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને વડોદરા તરફથી આવતા ભારે પ્રવાહને કારણે પીલરો નબળા બનવાનો ભય છે. લોકોએ વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું ત્યારે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે.