ભરૂચના દહેજમાં આવેલ કોન્ટીનેટલ કાર્બન કંપનીમાં ફોર્કલિફ્ટના વાહન ચાલકે કામદારને ટક્કર મારતા તેનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું.

ભરૂચના  વાગરા તાલુકાના અંભેર ગામના મંદિર ફળિયામાં રહેતા હરેશ ભીખાભાઈ પટેલ અને તેઓના ગામમાં રહેતા 28 વર્ષના સંજય નટવર વસાવા સહિત 6 કામદારો દહેજમાં આવેલ કોન્ટીનેટલ કાર્બન કંપનીમાં નોકરી ઉપર આવ્યા હતા તે દરમિયાન લોડીંગ પોઇન્ટ પાસે ફોર્કલિફ્ટના ચાલક બબલુએ કાર્બનની બોરી લોડીંગ કરતી વખતે બેદરકારી પૂર્વક ફોર્કલિફ્ટ વાહન હંકારી લાવી પાણી પીને પરત આવતા સંજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…