Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : માંડવા ગામે તસ્કરોના નિશાને ચઢ્યા 2 મકાનો, રૂ. 3 લાખ ઉપરાંતની ચોરી

2 મકાનોને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા 3 લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રાત્રીના સમયે પટેલ ફળિયાના 2 મકાનોને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા 3 લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે કોળી પટેલ ફળિયામાં રહેતા સાગર પટેલ પોતાના 3 રૂમ મકાનમાં પરીવાર સાથે નિન્દ્રા માણી રહ્યા હતા,

તે દરમ્યાન આગળના રૂમની બારી તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડ 30 હાજાર રૂપિયા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 3 લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કર્યો હતો. ત્યારબાદ એ જ ફળિયામાં કામ અર્થે બહારગામ ગયેલા રાકેશ પટેલના મકાનમાંથી પણ હાથફેરો કર્યો હતો.

જેમાં તિજોરીમાં મુકેલા ડબ્બામાંથી રૂપિયા 15 હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જ્યારે પરિવાર નિરાંતની ઊંઘમાંથી સવારે જાગતા ઘરમાં ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું, ત્યારે મકાન માલિકોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે ચોરી મામલે ગુન્હો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Next Story