![અંકલેશ્વર : ખરોડ નજીક ટ્રક ચાલકને આંતરી લૂંટ ચલાવી રહેલ લૂંટારુઓને પડકાર ફેંકનાર અન્ય 3 યુવાનો પણ લૂંટાયા..!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/4d80a96dfc36520a501b112318dba1bf325b72132b7e2d5a59da60f6bd74434e.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઇવે ઉપર ખરોડ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપની સામે ખુલ્લા ખેતરમાં ટ્રક ચાલકને આંતરી લૂંટ ચલાવી રહેલ લુટારુઓને પડકાર ફેંકનાર અન્ય 3 યુવાન પાસેથી પણ લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ખરોડ ગામના ઓડ ફળિયામાં રહેતો કિશોરકુમાર ઓડ તેના મિત્રો અંકેશ વસાવા અને અવિચંદ ઉર્ફે લાલા વસાવા સાથે સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન સુરત-અંકલેશ્વર ટ્રેક ઉપર ખરોડ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપની સામે શૌચક્રિયા માટે બાઇક થોભાવી હતી, જ્યાં ટ્રક નં. RJ-14-GR-0703 ત્યાં ઉભેલી જોવા મળી હતી, અને બાજુમાં ખુલ્લા ખેતરમાં 3 ઇસમો ચાલક કૈયુમ સત્તારખાનને માર મારી રહ્યા હતા. તે જોતાં જ આ ત્રણેય યુવાનો ટ્રક ચાલકને બચાવવા માટે વચ્ચે પડતાં લૂંટારુઓએ અવિચંદ વસાવા ઉપર પથ્થર અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો, જ્યારે ચાલકને પણ માર મારી 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 14 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, ત્યારે હાલ તો લૂંટ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર હાઇવે ઉપર ભૂતકાળમાં પણ શૌચક્રિયા માટે વાહનો ઊભા રાખનાર ચાલકો લૂંટાયા હોવાની ઘટનાઓ બની હતી.