Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી સહિત ચોરીના મોબાઇલ લેનાર 2 ઇસમોને ભરૂચ LCBએ ઝડપી પાડ્યા

પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અન્ય ચોરીના 3 મોબાઇલ સાથે તથા ચોરીના મોબાઇલ વેચાણ-લેનાર 2 ઇસમોને 8 નંગ મોબાઈલ જેની કિંમત રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર : મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી સહિત ચોરીના મોબાઇલ લેનાર 2 ઇસમોને ભરૂચ LCBએ ઝડપી પાડ્યા
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અન્ય ચોરીના 3 મોબાઇલ સાથે તથા ચોરીના મોબાઇલ વેચાણ-લેનાર 2 ઇસમોને 8 નંગ મોબાઈલ જેની કિંમત રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ (વડોદરા) તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તરફથી જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તેમજ મિલકત સંબંધી તથા મોબાઇલ ચોરીના ગુનામાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્યથી જિલ્લાભરની પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલિંગ રાખવા તથા વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાની સૂચના અન્વયે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અન્વયે એલસીબી પોલીસની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ તથા તેમની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, પાનોલી પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રથમ મિસ્ત્રી હાલ અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જોવા મળ્યો છે. જે બાતમીના આધારે વાલીયા ચોકડી ખાતેથી સુરતના કોસંબાની શાંતિનગર સોસાયટીમાં રહેતા 20 વર્ષીય પ્રથમ મિસ્ત્રીને પકડી તેની અંગઝડતી કરતા તેના પાસેથી 3 મોબાઇલ મળી આવ્યા હતા. જે મોબાઈલના બિલ પુરાવા રજૂ ન કરવા સાથે આરોપી ભાંગી પડ્યો હતો, અને કબુલાત કરી હતી કે, હું તથા મારો મિત્ર તુષાર પટેલ સુરત તથા ભરૂચ જિલ્લામાં મુલદથી માંડવા રોડ ઉપરથી આશરે 2થી 3 વખત તથા બાકરોલ બ્રિજથી ધામરોડ વચ્ચે આશરે 2થી 3 વખત તેમજ વાલીયા ચોકડી બ્રિજ ઉપર એક વખત અને અંકલેશ્વરથી પાનોલી રોડ ઉપર આશરે 3 વખત મિત્ર તુષારની બાઇક ઉપર નીકળી રસ્તામાં મોબાઈલ પર વાત કરતા જતા લોકોના હાથમાંથી મોબાઇલ ખૂંચવી લઈ કોસંબા ખાતે રહેતા અર્જુન વાઘરી તથા જયેશ ઢમેચાને વેચાણથી આપતા હોવાની હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી. જેથી ચોરીના મોબાઇલ વેચાણ રાખતા અર્જુન વાઘરી અને જયેશ ઢમેચાને કુલ 5 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. આ બન્ને ઈસમોએ કબુલાત કરી હતી કે, અમારી પાસેથી મળી આવેલ મોબાઈલ પ્રથમ મિસ્ત્રી તથા તુષાર પટેલ ચોરી કરીને લાવતા હતા, અને અમને રસ્તામાં આપતા હતા, જેથી અમે આ મોબાઈલ વેચાણથી રાખતા હોવાની પોલીસને હકીકત જણાવી હતી. જેથી પોલીસે ત્રણેય ઈસમો પાસેથી 2 નંગ મોબાઈલ જેની કિંમત રૂ. 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિઝન કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ ખાતે સોંપવામાં આવ્યા છે. આ સાથે જ પાનોલી પોલીસ મથક ખાતે પણ મોબાઈલ સ્નેચિંગના આરોપીઓ અંગે જાણ કરવામાં આવી છે.

Next Story