![અંકલેશ્વર: 20 વર્ષીય યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/0756d6f015db13185a4d9df4f0a52c6e9834a03748c3750208d0f9446fc92692.jpg)
અંકલેશ્વરના ઉટીયાદરા ગામ ખાતે તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા કરી નહેરના કુવામાં નાખી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરુચના હાંસોટ અને કોસંબાને જોડાતા પંડવાઈ માર્ગ પર આવેલા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાલી ગામ ખાતે રહેતા 20 વર્ષીય અભય પટેલ ગત 7મી ફેબ્રુઆરીની સાંજે 7:30 વાગ્યાથી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ ગયો હતો. પરિવાર અભયને શોધી રહ્યો હતો, દરમિયાન અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ ખાતે પસાર થતી નહેરમાં બુધવારના બપોરે 1:30 કલાકે નહેર પાસે આવેલા ખેતર માલિક અશ્વિન પટેલે અંકલેશ્વર પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ અને ઉટીયાદરા આઉટપોસ્ટનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.જ્યાં નહેરના કુવામાં લોહી લુહાણ હાલતમાં યુવકની માથા તેમજ કપાળમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી કૂવામાં ફેંકી દીધેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવાનના વર્ણન અને ફોટો સાથે તપાસ શરુ કરતા યુવાન તરસાલી ગામનો અભય નટવરભાઈ પરમાર હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આ અંગે તેના પરિજનોનો સંપર્ક કરતા તેની માતા રતનબેન તેમજ અન્ય સ્વજનો સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ સમક્ષ મૃતક ઈસમ અભય જ હોવાની પરિવારજનોએ ઓળખ કરતા પોલીસે મૃતદેહને પેનલ પી.એમ કરવા માટે અંકલેશ્વર ખસેડાયો હતો તેમજ મૃતક અભયની માતા રતનબેન પરમારની ફરિયાદ આધારે અજાણ્યા ઈસમો સામે અગમ્ય કારણોસર હત્યાનો ગુનો દાખલ કરી પી.એસ.આઈ. એન.એચ. વાઢેરે વધુ તપાસ શરુ કરી છે