અંકલેશ્વર : સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી રાહત-ટ્રાફિકની સમસ્યા સંદર્ભે માંડવા ટોલપ્લાઝા ખાતે અપાયું આવેદન
માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થતાં ભરૂચ જિલ્લાના લોકલ વાહનો એટલે કે, GJ-16 પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી રાહત આપવામાં આવી
માંડવા ટોલપ્લાઝા ખાતે ઝઘડીયા તાલુકા કોંગ્રેસનું આવેદન
સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી રાહત આપવા કરાય માંગ
ટ્રાફિકની સમસ્યા સંદર્ભે પણ કરાય ટોલ મેનેજરને રજૂઆત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ટોલપ્લાઝા ખાતે GJ-16 પાસિંગ વાહનોને ટોલ ટેક્સમાંથી રાહત તેમજ ટોલપ્લાઝા ખાતે ટ્રાફિક જામની સમસ્યા સંદર્ભે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં ટોલ મેનેજરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લાના માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થતાં ભરૂચ જિલ્લાના લોકલ વાહનો એટલે કે, GJ-16 પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. તેમ છતાં ટોલ પર લાગેલ સિસ્ટમના કારણે GJ-16 પાસિંગના વાહનોના ફાસ્ટ ટેગ બેલેન્સમાંથી ટોલ કપાતા ભરૂચથી ઝઘડીયા અને અંકલેશ્વર તરફ જતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, NHAIના નિયમ અનુસાર જ્યારે ટ્રાફિક જાળવવા યોગ્ય બેરિકેટ રાખવાની જોગવાઈ છે. જેને બદલે છેલ્લા ૩ વર્ષથી કેમિકલના ખાલી બેરલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જેને લીધે વાહનોને સ્ક્રેચ પડવાના બનાવો સાથે ટોલ પર ફરજ બજાવનાર કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો સાથે ગેરવર્તણૂક અને ટોલપ્લાઝાની બહાર જ ટ્રાફિકને અડચણરૂપ મોટા વાહનોના પાર્કિંગના કારણે અકસ્માતો અને ટ્રાફિક જામની પણ સમસ્યાનો અવારનવાર સામનો કરવો પડતો હોય છે, ત્યારે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવાની આગેવાનીમાં મુલદ ટોલ નાકાના મેનેજર રોહિત શિંદેને આવેદન પત્ર પાઠવી વહેલીતકે સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.