અંકલેશ્વર: પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની ઘાતકી હત્યા કરી હત્યારો પહોંચ્યો પોલીસ સ્ટેશન,જુઓ શું છે આખો મામલો
દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બન્નેની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી
અંકલેશ્વરનો ચકચારી બનાવ
સારંગપુર વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ
પ્રેમીએ પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની કરી હત્યા
હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો
પ્રેમિકાને જુના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા હત્યા કરાય
અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે.લિવઇન રિલેશન શિપમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાને જુના પ્રેમી સાથે જોઈ જતા બન્નેની હત્યા કરી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં ગઈકાલે પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં અંકલેશ્વરની અનિતા ઉર્ફે અનુ ઝઘડિયાના રાણીપુરાના રોહન વસાવા સાથે અંકલેશ્વરના સારંગપુરમાં રૂમ રાખીને લિવ ઇન રિલેશનશિપમાં ૨-૩ મહિનાથી રહેતી હતી.
ગઇકાલે સાંજે અનિતા અને તેના પ્રેમી રોહન વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં અનિતાએ તેને જતા રહેવા માટે કહેતા રોહન તેના ઘરે રાણીપુરા જતો રહ્યો હતો. જોકે રોહન તેના ગામમાં જતા તેના જ ગામનો હિતેશ વસાવા જેને અગાઉ અનિતા ઉર્ફે અનુ સાથે પ્રેમ સંબંધ હોય તે ગામમાં જોવા ન મળતા રોહનને એ તેની પ્રેમિકાના ઘરે હશે તેવી શંકા ગઈ હતી.
જે શંકાના આધારે તે અડધી રાત્રે અનિતાના ઘરે ગયો હતો અને દરવાજો ખોલવાનું કહેતા અનિતાએ દરવાજો ખોલ્યો ન હતો.આથી તે ત્યાં જ સંતાય ગયો હતો અને મળસ્કે દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બન્નેની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી હતી. આ બાદ આરોપી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ડબલ મર્ડરના ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી રોહન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે