/connect-gujarat/media/post_banners/0e607c2ce032582dc8ba3f1b5fc9332697739fff462f21094202f1526fa0faad.webp)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વાઇરલ કન્જેક્ટિવાઇટિસને લઇને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સાથે જ નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણને અટકાવવા તકેદારીના પગલા લેવા સૂચના તેમજ લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ કન્જેક્ટિવાઇટિસના કેસ વધી રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગ સાવચેત બન્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પણ કન્જેક્ટિવાઇટિસના કેસ જોવા મળી રહ્યા છે. તાલુકામાં આવેલ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં સંક્રમણ જોવા મળી રહ્યું છે, ત્યારે છેલ્લા 15થી 20 દિવસથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ.એન.સિંગના માર્ગદર્શન હેઠળ તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કન્જેક્ટિવાઇટિસને લઇને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સંક્રમિત બાળકોને અલગ અલગ પી.એચ.સી. અને સી.એચ.સી. ખાતે રિફર કરી યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તાબામાં આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા બાળકો પૈકી કોઈ કન્જેક્ટિવાઇટિસની અસર જણાય તો તેનું સંક્રમણ અન્ય બાળકમાં નહીં ફેલાઈ તે માટે બાળકને માંદગીની રજા આપવા સાથે આરોગ્ય વિભાગમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ, આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ અધિકારી સહીત પી.એચ.સી., સી.એચ.સી તેમજ ગામેગામ ચેપી રોગને અટકાવવા જન જાગૃતિ ફેલાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ રોગ જીવલેણ નહીં હોવાથી તેની યોગ્ય કાળજી લેવાથી લોકો જલ્દી સાજા થઈ જાય છે. પરંતુ આ રોગના સંક્રમણને અટકાવવા લોકોને પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.