ભરૂચ : ગુજરાતની જનતાને સસ્તી વીજળી મળે તે મુદ્દે AAP આવ્યું મેદાને...
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં ત્રીજા મોરચા સમાન આમ આદમી પાર્ટી પણ સજ્જ થઈ છે.
આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં ત્રીજા મોરચા સમાન આમ આદમી પાર્ટી પણ સજ્જ થઈ છે. તેવામાં ગુજરાતની જનતા માટે મફત વીજળીના મુદ્દે AAPના નવનિયુક્ત ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખે પ્રથમ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશમાંથી વિવિધ જિલ્લાઓના હોદ્દેદારોની નિમણૂંકને રદ્દ કરી નવી નિમણૂંક અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે ઉર્મિલા પટેલની નિમણૂંક થઈ છે, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા મહિલા પ્રમુખ ઉર્મિલા પટેલે પ્રથમ પત્રકાર પરિષદ સંબોધી હતી.
જેમાં તેઓએ ગુજરાતના નાગરિકોને સરકાર સસ્તી વીજળી પૂરી પાડે તેવી માંગણી સાથે પત્રકારોને માહિતી આપી હતી. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિકાસના કામો સહિત ભરૂચવાસીઓને પડતી હાલાકી મુદ્દે પણ આમ આદમી પાર્ટી મેદાનમાં ઊતરનાર હોવાનું નવનિયુક્ત જિલ્લા પ્રમુખએ જણાવ્યું હતું.