ભરૂચ : AAPના MLA ચૈતર વસાવાને લઘુમતી સમાજનું સમર્થન, ખોટી ફરિયાદ થઈ હોવાનો કર્યો આક્ષેપ..!
ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા તંત્ર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા તંત્ર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
સુરતના માંડવી તાલુકાના કરજવાણ ગામના અને હાલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ફોરેસ્ટ કોલોનીમાં રહેતા શિવરાજ રુવજી ચૌધરીએ ફોરેસ્ટ વિસ્તારમાં દબાણ ખેતી કરતાં દબાણકર્તાને કાઢ્યા હતા. આ બાબતે ગત તા. 30મી ઓક્ટોબરના રોજ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓના ઘરે વન વિભાગના અધિકારી શિવરાજ રુવજી ચૌધરી અને અન્ય કર્મીઓને બોલાવી સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભું કરી અપશબ્દો ઉચ્ચારી અધિકારીને 2 લાફા ઝીંકી દીધા હતા, અને વન કર્મીઓને એક લાઇનમાં ઊભા કરી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી ધાકધમકી આપી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. જે બાબતે આદિવાસી સમાજમાં વર્તમાન સરકાર તરફ નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયેલી ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે ભરૂચ લઘુમતી સમાજ પણ આગળ આવી ચૈતર વસાવાના સમર્થમાં ભરુચ જિલ્લા લઘુમતી સેલના નેજા હેઠળ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.