Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જન્મથી જ દુનિયા નહીં જોનાર પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર બન્યું આશીર્વાદરૂપ...

કહેવાય છે કે, ભગવાને દુનિયા જોવા માટે આંખો આપી છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે, જે જન્મથી જ તેમની આંખોનું સર્જન એટલે કે, વિકાસ ન થવાના કારણે તેઓ જોઈ શકતા નથી,

X

કહેવાય છે કે, ભગવાને દુનિયા જોવા માટે આંખો આપી છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે, જે જન્મથી જ તેમની આંખોનું સર્જન એટલે કે, વિકાસ ન થવાના કારણે તેઓ જોઈ શકતા નથી, ત્યારે ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલ વર્લ્ડ વાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે દિવ્યાંગ અને અંધજન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

ભરૂચની બાયપાસ ચોકડી નજીક એક એવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં પ્રજ્ઞાચક્ષુ કે, જેઓ જોઈ શકતા નથી તેવા જ શિક્ષકો તેમના જેવા જ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. આ સાથે અહી કોમ્પ્યુટરની તાલીમ પણ આપવામાં આવી રહી છે. વર્લ્ડ વાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર કાર્યરત છે જેમાં દિવ્યાંગ બાળકો અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. જેમાં બ્રીલ લીપી, મસાજ, કમ્પ્યુટર ક્લાસ, સ્માર્ટ મોબાઈલ ક્લાસ વગેરે શીખવાડવામાં આવે છે. બાળકો આત્મનિર્ભર બને તે માટે તમામ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓથી અવગત કરાવવામાં આવે છે. આ સાથે રમતગમતની વાત કરીએ તો, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ક્રિકેટ શીખવાડી અને રમાડવામાં આવે છે. જોકે, કોઈ પ્રજ્ઞાચક્ષુ બેટિંગ કરે, ત્યારે તેની પાસે બોલ આવે છે, જેની તેને કેવી રીતે ખબર પડે તે માટે બોલમાં લોખંડના છડા મુકવામાં આવે છે. જેના અવાજથી બેટિંગ કરી રહેલ પ્રજ્ઞાચક્ષુ પાસે બોલ આવે ત્યારે તેને બેટ વડે મારી ક્રિકેટની મજા માણી શકે. આવી ઘણી બધી રમત જોઈને નહીં, પરંતુ તેના અવાજ અને આભાસથી રમી પ્રજ્ઞાચક્ષુઓ દુનિયાનો આનંદ માણી રહ્યા છે.

ભરૂચમાં કાર્યરત બ્લાઈન્ડ સેન્ટરમાં અત્યાર સુધી 150થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, અને ઘણાખરા વિદ્યાર્થીઓ આત્મનિર્ભર પણ બન્યા છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે હોસ્ટેલમાં પણ રાખવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓને સવારે ચા-નાસ્તાથી લઈ 2 ટંકનું ભોજન પણ આપવામાં આવે છે. તેમજ નજીકમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરેથી લાવવા-લઈ જવા માટે નિ:શુલ્ક વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં જન્મથી જ દુનિયા ન જોઈ શકતા હોય તેવા બાળકોથી માંડી આધેડો પણ અહી શિક્ષણ મેળવવા આવે છે. આ સાથે જ આ એક જ સેન્ટરમાં તમામ ધર્મના લોકો કે, જેઓ દુનિયા જોઈ શકતા નથી, તેવા પ્રજ્ઞાચક્ષુઓ એકબીજાનો સહારો બનીને જીવન વિતાવી રહ્યા છે.

Next Story