Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે નારાયણ વિદ્યાલયમાં હનુમાન ચાલીસાનું પઠન, યુનિયન સ્કૂલ દ્વારા શોભાયાત્રા યોજાય

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અનેક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે

X

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અનેક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે હનુમાન ચાલીસા પઠન તેમજ યુનિયન સ્કૂલ દ્વારા શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાઓમાં રામ ઉત્સવના કાર્યક્રમો યોજાય રહ્યા છે. ગતરોજ ભરૂચ શહેરમાં આવેલી યુનિયન સ્કૂલ દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બાળકોએ ભગવાન રામના પાત્રો સાથે ઢોલ નગારા અને વાજિંત્રો ગુંજતા કર્યા હતા. રામના નારાઓ સાથે શાળાએથી નીકળેલી શોભાયાત્રા સોનેરી મહેલ, પાંચબત્તી થઈને શક્તિનાથ મહાદેવ મંદીરના પટાંગણમાં પહોંચી હતી, જ્યાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મહાઆરતીનો લ્હાવો લીધો હતો.

તો બીજી તરફ, ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે શાળાના બાળકો દ્વારા ભગવાન શ્રીરામની અયોધ્યા ખાતે પ્રણપરતિષ્ઠા નિમિત્તે સુંદર આયોજન કર્યું હતું. જેમાં શાળાના પટાંગણમાં ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે હનુમાન ચાલીસા પઠન કર્યું હતું. સંગીતમય શૈલીમાં વિદ્યાર્થી સહિત શાળાના શિક્ષકોએ હનુમાન ચાલીસા ગવાતા સમગ્ર શાળા પરિસર સહિત આસપાસનો વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં તરબોળ થયો હતો.

Next Story