/connect-gujarat/media/post_banners/ed1f1b5750817fd422d7d1486923ecaf1e5b101fbc53345dbf6d81996062c35e.jpg)
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી. જેમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે, ફ્રેઇટ કોરિડોર, ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત સંપાદિત જમીન માટે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને અપાયેલ વળતર જેટલા વળતરની ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી.
ભરૂચ ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયાએ આક્ષેપ કર્યા હતા કે, ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદિત કરી પાડોશી જિલ્લા કરતા અત્યંત ઓછું વળતર ચૂકવવામાં આવે છે. જેની સામે ખેડૂતો દ્વારા અગાઉ વિરોધ પણ નોંધવાયો છે. જોકે, આમ અન્યાય થતાં ખેડૂતો પાસે બે જ રસ્તા છે, ક્યાં તો ખેડૂત આપઘાત કરે કે, પછી આંદોલન કરે, ત્યારે હવે આપઘાત નહીં પણ ન્યાય મેળવવા માટે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે માટે રાકેશ તિકૈત, જયેશ પટેલ સહિતના ખેડૂત આગેવાનોને બોલાવી આંદોલન અંગે રૂપરેખા ઘડી કાઢવામાં આવશે. જોકે, છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વળતરના મુદ્દે વિવિધ સ્તરે રજૂઆત કરવા સાથે સમયાંતરે આંદોલન પણ કરી રહ્યા છે. પરંતુ ઠાલા વચનો જ મળતા હવે ધરતીપુત્રો આંદોલનના મૂડમાં આવી ગયા છે.