ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામની સીમમાંથી પસાર થતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેતીની જમીનો સંપાદન કરવાના મુદ્દે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામના ખેડૂતોએ એક આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ઉંટીયાદરા ગામની સીમમાંથી પસાર થતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેતીની જમીનો સંપાદન કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ ખેડૂતોની પરવાનગી વિના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ જમીનનું ક્ષેત્રફળ કરતાં વધુ જમીનો ઉપયોગ કરી જમીનોને નુકશાન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરાયા છે. ખેતરોમાં જતી પાણીની લાઇનનો પ્રશ્ન ચાલી રહ્યો છે. જોકે, હાલ જમીનોમાં ગેરકાયદેસર પ્રવેશ અધિકારીઓના દબાણ હેઠળ કામગીરી કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પણ ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. તેવામાં જમીન સંપાદનમાં સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં ચૂકવાયેલ વળતર પ્રમાણે ઉંટીયાદરા ગામના ખેડૂતોને વળતર ચૂકવાય તેવી માંગ ઉઠી છે.