/connect-gujarat/media/post_banners/4bdd026ac40971337f9cc817a2e7dca48ff664fb65a40b185262c1a0b33082e6.jpg)
ભરૂચના ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીન માર્ગ પર નવીન પુલ બનાવવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી, ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ પર આવી ખેડૂતોને વળતર આપવા અંગે આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામને વડોદરા જિલ્લાના માલસર સાથે જોડતો નર્મદા નદી પર નવીન પુલ બનાવવાની કામગીરી પુર્ણ થઇ ગઈ છે, ત્યારે નર્મદા નદી પરના આ નવા પુલનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવનાર હોય, જેથી પુલને જોડતા રસ્તા પર વરાછા ગામથી ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ સુધીના રસ્તાને પહોળો કરવા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસ્તાને સાઈડ પરથી 4-4 મીટર સુધી પહોળો કરવા માટે ખોદી નાખવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક ખેડૂતો આ કામગીરીને લઇને રોષે ભરાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર કે, કોઈપણ અધિકારી દ્વારા આ બાબતની જાણ કરવામાં આવી નથી, ત્યારે ખેડૂતોએ આ કામગીરી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. જે સમાચાર મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજરોજ નર્મદા જિલ્લા તેમજ વડોદરા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં ખેડૂતો સાથે વાતચીત કરતા મામલો થાળે પડ્યો હતો. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. તો બીજી તરફ, સ્થળ પર આવેલ અધિકારીઓએ ખેડૂતોને 5 દિવસમાં લેખિતમાં વળતરની યોગ્ય માહિતી આપવા આવશે, અને ટૂંક સમયમાં જ તમામ ખેડૂતોને વળતર આપવામાં આવશે તેવું આશ્વસન આપ્યું હતું. જોકે, વળતર માટે અધિકારીઓ દ્વારા લેખિતમાં જાણ કરાયા બાદ જ કામ શરૂ કરવા દેવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.