ભરૂચ : જંબુસર વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર ધારાસભ્ય દ્વારા જન સંપર્ક કાર્યાલય શરૂ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ
જંબુસરના ઇતિહાસમાં પ્રથમવાર જન સંપર્ક કાર્યાલય શરૂ કરાયું
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ
જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીને જનતાની ચિંતા : ગૃહમંત્રી
“જન સેવા એજ પ્રભુસેવા”ના દ્રઢ સંકલ્પ સાથે ભરૂચ જિલ્લાની 150 જંબુસર-આમોદ વિધાનસભાના મતદારો દ્વારા ભારતીય જનતા પાર્ટીના જંબુસર-આમોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ડી.કે.સ્વામીને જંગી બહુમતી સાથે વિજય બનાવ્યા છે, ત્યારે કર્તવ્યના ભાગરૂપે મતદાતાઓ સાથે જીવંત સંપર્કના હેતુથી પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપી શકાય તે માટે ધારાસભ્ય દ્વારા “જન સંપર્ક કાર્યાલય’”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ જનસેવા કેન્દ્ર દ્વારા જંબુસર-આમોદ 150 વિધાનસભાના મતદારોને સામાન્યમાં સામાન્ય કામથી લઈ જટિલ પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓમાં પ્રજાએ ધર્મ ધક્કા ન ખાવા પડે તે હેતુથી જન સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે જંબુસર-આમોદ જૈન સંઘ દ્વારા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ફૂલહાર, શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જંબુસર-આમોદ વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીના આ જન સેવા કેન્દ્રમાં એક કોમ્પ્યુટર ઓપરેટર, કાર્યાલય મંત્રી તેમજ જરૂરિયાત મુજબ અઠવાડિયામાં 2 દિવસ ધારાસભ્ય પોતે ઉપસ્થિત રહેશે. આ લોકાર્પણ કર્યા બાદ BAPS સ્વામીનારાયણ મંદિર સભા ગૃહ ખાતે જનસભા સંબોધી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ વિજય થયેલ ધારાસભ્યઓનું સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કાવી-કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.