ભરૂચના આમોદ નજીકથી પસાર થતાં માર્ગની અત્યંત બિસ્માર હાલત થતાં વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇ-વે નંબર ૬૪ અત્યંત બિસ્માર બનતાં વાહનોને નુકશાન થઈ રહ્યું છે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.જેથી વાહનચાલકો પરેશાન બન્યા છે.તેમજ મોટા ખાડાઓના કારણે વાહનો રસ્તા વચ્ચે જ ખોટકાતાં ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે.ત્યારે આમોદ નગરજનો પણ પરેશાન બન્યા હોય રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૬૪નું વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૧૩.૪૦ કરોડના ખર્ચે સુરતની એજન્સીએ આમોદ-નાહીયેર તેમજ સુડી-સમની સેકશનનું કામ કર્યું હતું.જો કે દર વર્ષે ચોમાસાની સિઝનમાં માર્ગોની બિસ્માર હાલત થાય છે જેના કારણે વાહન ચાલકોએ હેરાન થવાનો વારો આવે છે અને મસમોટા ખાડાના કારણે વાહનોમાં નુકશાન પણ થાય છે ત્યારે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે અને માંગ જો ના સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે