ભરૂચ : શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓનું સન્માન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાય...
એક શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન છે. નવી પેઢીમાં ન માત્ર શિક્ષણ પરંતુ ઉચ્ચ મૂલ્યોનું સિંચન પણ એક શિક્ષક દ્વારા જ કરવામાં આવતું હોય છે.
દર વર્ષે તા. 5મી સપ્ટેમ્બરના દિવસને સમગ્ર ભારતમાં મહાન કેળવણીકાર દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઊજવવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
એક શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન છે. નવી પેઢીમાં ન માત્ર શિક્ષણ પરંતુ ઉચ્ચ મૂલ્યોનું સિંચન પણ એક શિક્ષક દ્વારા જ કરવામાં આવતું હોય છે. કોઈપણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ જે તે દેશના નાગરિકોને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે, ત્યારે શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં દર વર્ષે તા. 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માનપત્ર એનાયત, સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત શાળા મકાનનું ઈ-લોકાર્પણ અને અંગ્રેજી વિષયની પ્રશ્નબેંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને પૂર્વ ચેરમેન કિંજલ ચૌહાણ સહિતના મહાનુભાવોના હસ્તે પ્રાથમિક શાળા-માતરના આચાર્ય સંજય પટેલ, શ્રી ટી.એમ.શાહ-એવીએમ વિદ્યામંદિરના ભાટવાડ-અંકલેશ્વરના શિક્ષક મહેશ વસાવા, દેગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા અસ્મિતા ચૌહાણ, વાગરા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષક નેહા કડિયા, ઝઘડિયા રઝલવાડા પ્રાથમિક શાળાના શિક્ષક રિતેશ પરમાર, સુરવાળી પ્રાથમિક શાળા-અંકલેશ્વરના શિક્ષિકા હેમલત્તા પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે 100% પરિણામ ધરાવતી શાળાઓને પણ એમના શિક્ષણ પ્રત્યેના શ્રેષ્ઠ કાર્ય માટે સન્માનિત કરવામાં આવી હતી.