ભરૂચ : રૂંગટા વિદ્યાલયમાં ધો. 11 અને 12માં વિદ્યાર્થીઓ રહ્યા પ્રવેશથી વંચિત, વાલીઓ પહોચ્યા શિક્ષણાધિકારીના દ્વારે
જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, ત્યારે ભરૂચની રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં શિક્ષકોના અભાવે ધોરણ 11 અને 12ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે
ભરૂચ જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, ત્યારે ભરૂચની રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં શિક્ષકોના અભાવે ધોરણ 11 અને 12ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે, ત્યારે એડમિશન નહીં મળતા ચિંતામાં મુકાયેલા વાલીઓ સહિત વિદ્યાર્થીઓ આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા.
ભરૂચ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળામાં પ્રવેશ નહીં મળવાની બૂમો ઉઠી છે. તેવામાં ભરૂચની રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ 11 અને 12 ના વર્ગો માટે શિક્ષકોના અભાવ સામે આવ્યો છે. જેના કારણે શાળાના સંચાલકો દ્વારા વર્ગ બંધ કરવાની ફરજ પડી છે. જેથી પોતાના બાળકના શિક્ષણની ચિંતા સાથે વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. ગતરોજ વાલીઓએ શાળાના ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં શાળા દ્વારા ધોરણ 11 અને 12ના વર્ગ બંધ કરવામાં આવ્યા હોવાનું રટણ કરતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ન્યાયની આશા સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના દ્વાર ખખડાવ્યા હતા. એટલું જ નહીં, આ મામલે ગુજરાત વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલને રજૂઆત કરતાં તેઓએ પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા કરવા અંગે બાંહેધરી આપી હોવાનું પણ વાલીઓએ જણાવ્યુ હતું.