/connect-gujarat/media/post_banners/0cf834ee556058d40bd068d8762e62fcffc8c061a99b22714c7e9d5a5374bf27.jpg)
ભરૂચમાં દિવ્યાંગ બાળકો આર્થિક રીતે પગભર બને તે માટે કલરવ સ્કુલમાં વિવિધ પ્રોજેકટ ચાલી રહયાં છે. જે અંતર્ગત દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
ભરૂચની કલરવ શાળામાં શારિરીક અને માનસિક રીતે વિકલાંગ બાળકો અભ્યાસ કરતાં હોય છે. છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી કલરવ સ્કુલ કાર્યરત છે અને વાલીઓ તેમના દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવી શકે છે. દિવ્યાંગ બાળકો પણ આર્થિક રીતે પગભર બને તે માટે શાળા તરફથી વિવિધ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યાં છે. જે અંતર્ગત બાળકોને રાખડીઓ, દીવડાઓ, પડીયા, ઓફિસ ફાઇલ સહિતની વસ્તુઓ બનાવતાં શીખવાડવામાં આવે છે.
કોરોનાની મહામારી દરમિયાન દિવ્યાંગ બાળકોએ તેમના વાલીઓ સાથે શાળામાં આવી રંગબેરંગી રાખડીઓ બનાવી છે. આગામી દિવસોમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદવા માટે શાળા સંચાલકોએ ભરૂચવાસીઓને અપીલ કરી છે. દર વર્ષે દિવ્યાંગ બાળકો વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરતાં હોય છે. વસ્તુઓના વેચાણમાંથી મળતી રકમથી બાળકો આર્થિક રીતે પગભર બનતાં હોય છે.