ભરૂચ : આમોદ પંથકમાં એગ્રીકલ્ચર વીજ લાઇન બંધ રહેતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કરી વીજ કચેરીએ રજૂઆત...
આમોદ પંથકમાં ખેડૂતોની એગ્રીકલ્ચર વીજ લાઇન ઘણાં સમયથી બંધ રહેતા અનેક ખેડૂતોએ ધારાસભ્ય ડી.કે.સ્વામીને ફરિયાદ કરી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં ખેડૂતોની એગ્રીકલ્ચર વીજ લાઇન ઘણાં સમયથી બંધ રહેતા અનેક ખેડૂતોએ ધારાસભ્ય ડી.કે.સ્વામીને ફરિયાદ કરી હતી. જેથી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી-આમોદ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં વીજ કંપનીના ઈજનેર સાથે 4 કલાકની મેરોથન બેઠકમાં કયા ફીડર ઉપર શું સમસ્યા છે, તે અંગે જાણકારી મેળવી હતી, તેમજ વીજ કંપનીના અધિકારીઓને જરૂરી આદેશો પણ કર્યા હતા. આ ઉપરાંત વીજ કચેરીના નિયમ મુજબ ૩૦ કિલોમીટરની અંદરમાં ફીડરના ગામો હોવા જોઈએ તેના કરતાં ૩૦ કિલોમીટરથી વધુના અંતરે ગામોના વીજ કનેક્શન હોવાના કારણે વારંવાર વીજ સમસ્યાઓ સર્જાઈ રહી છે, ત્યારે આમોદ તાલુકાના તણછા ગામે નવું સબ સ્ટેશન બનાવવા ધારાસભ્યએ રજૂઆત કરી હતી, જેથી કરીને વધારે કિલોમીટરના અંતરે આવેલા ગામોને વીજ કનેક્શનનો લોડ ન પડે. આ સાથે જ ધારાસભ્યએ ટેલિફોન મારફતે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ ઉપરાંત આમોદ તાલુકાના 3 ગામો કેરવાડા, કોલવણા અને રોઝા-ટંકારીયાને વાગરા તાલુકાના મોસમ ફીડર ઉપરથી દૂર કરી આમોદ તાલુકાના અલગ ફીડરમાં સમાવવા ખેડૂતોએ માંગ કરી હતી,જેની પણ ધારાસભ્યએ વીજ નિગમના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી.