ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 64 પર ગટર તૂટવાનો સીલસીલો યથાવત રહ્યો છે, ત્યારે વાહનચાલકોએ જાતે મેટલ નાખી તૂટેલી ગટરોને પૂરી ટ્રાફિક હળવો કરવા મજબૂર બન્યા હતા.
ભરૂચના આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં. 64 પર ગટરો તૂટવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો હતો, જ્યાં તૂટેલી ગટરોના કારણે સવારના અરસામાં વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો લાગતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી ટ્રક ચાલકોએ પોતે જ તૂટેલી ગટરોને મોટા મોટા મેટલ તેમજ પેવર બ્લોકથી પૂરી દઈ ટ્રાફિક હળવો કર્યો હતો. નેશનલ હાઇવેની કામગીરી કરતા કોન્ટ્રાકટર સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવેના નવીનીકરણ માટે રૂ. 7.33 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જેનું જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ નેશનલ હાઇ-વે ઓથોરિટીની એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડ બરાબર સમથળ નહી કરતાં ગટરો ભારદારી વાહનોના કારણે તૂટી ગઈ હતી. જેથી અનેક વાહન ચાલકોને ટ્રાફિક જામમાં હેરાન થવાનો વારો આવ્યો હતો.