ભરૂચ : નગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે લોકોની કતાર, કાઉન્ટર વધારવાની ઉઠી માંગ
સિવિક સેન્ટર ખાતે જામી કરદાતાઓની ભીડ, વેરો ભરવા માટે લોકોનો જોવા મળ્યો છે ઘસારો.
ભરૂચ નગરપાલિકાની કચેરીના સંકુલમાં બનાવવામાં આવેલાં સિવિક સેન્ટર ખાતે વેરો ભરવા લોકોની ભીડ ઉમટી પડી હતી. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકોની ભીડ એકત્ર થવીએ જોખમી સાબિત થઇ શકે છે. પાલિકા સત્તાધીશોએ કાઉન્ટરોની સંખ્યા વધારી ભીડ ભેગી ન થાય તે દિશામાં પ્રયાસો કરવા જોઇએ.
રાજયમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સરકારી કચેરીઓમાં કામગીરી મંદ ગતિએ ચાલી રહી હતી. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે સરકારી કચેરીઓની સાથે નાગરિક સુવિધા કેન્દ્રો પર ચાલુ કરવામાં આવ્યાં છે. ભરૂચ નગરપાલિકાના સિવિલ સેન્ટર ખાતે હાલ વેરાની રકમ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. વેરો ભરવા માટે લોકો મોટી સંખ્યામાં સિવિક સેન્ટર ખાતે આવી રહયાં હોવાથી લોકોની ભીડ જામી છે.
ભરૂચ નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકાના કેટલાય કર્મચારીઓ કોરોનાના કહેરમાં મૃત્યુ પામ્યાં છે. નગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે કાઉન્ટર ઓછા હોવાથી લોકોની ભીડ જામતી હોવાનું જાણવા મળી રહયું છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા સત્તાધીશો પણ પાણી પહેલા પાળ બાંધે તે આવશ્યક છે. કરદાતાઓ ઘરે બેઠા ઓનલાઇન રીતે વેરો ભરી શકે અથવા સિવિક સેન્ટર ખાતે કાઉન્ટરોની સંખ્યા વધારવામાં આવે તે જરૂરી છે.