ભરૂચ : નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખાં...
નિલકંઠેશ્વર મંદિરે આવતા પરિક્રમાવાસીઓને હાલાકી છેલ્લા 8 માસથી સર્જાય છે પીવાના પાણીની સમસ્યા
ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે છેલ્લા 8 માસથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. અહી રાતદિવસ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. આ પરિક્રમાવાસીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે. પરંતુ નર્મદા નદીના કાંઠે જ પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. જોકે,
મંદિરના ટ્રસ્ટીઓને પરિક્રમાવાસીઓ માટે પીવાનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં નલ સે જલની વાતો કરતા તંત્રએ કોઈ જ કાર્યવાહી કરી નથી. જેથી ઉનાળામાં સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. એક તરફ મંદિરોમાં આવતા પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાના ફાયર ટેન્ડર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો હોવાના વિડિયો વાયરલ થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર કે, પ્રજાના પ્રતિનિધિઓ પાણીનો બગાડ અટકાવી જરૂરિયાતમંદ પરિક્રમાવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે.