ભરૂચ : ડુમવાડમાં "પર્યાવરણ બચાવો-સ્વચ્છતા જાળવો"ના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરાયું
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા જાળવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા જાળવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ લોકોને સ્વચ્છતા જાળવવા અંગેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૧માં ડુમવાડ વિસ્તારમાં ગાંધી જયંતીના દિવસથી એક અઠવાડિયા માટે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થા તરીકે કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપકની અધ્યક્ષતામાં એક અઠવાડિયા સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પૂર્ણાહુતિના દિવસે પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, સ્થાનિક નગરસેવક ચિરાગ ભટ્ટ, જન હિતાર્થ ચેરીટેબલના ઉપ પ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામી સહિતના સભ્યો તેમજ સ્થાનિકો જોડાયા હતા, ત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.