/connect-gujarat/media/post_banners/82ea4e53485d4243af45cf689d9771a5efd42534e3210c0976221e08631a3260.jpg)
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે, જેની પહેલના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના કૃષિ વિભાગના નાયબ કમિશનર સુધીર ભદોરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના શુક્લતીર્થની કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. જે હેતુને ચરિતાર્થ કરવાના શુભ આશયથી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નું ભરૂચના શુક્લતીર્થ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિશાન સમ્માન નિધિના લાભાર્થી અને શુક્લતીર્થના રહેવાસી અલ્પેશ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમત્રીને સાથેના સંવાદમાં અલ્પેશ નિઝામાએ પોતાનો પરિચય આપતા જણાવ્યું કે, પોતે ડિપ્લોમા ઇજનેરીની ડીગ્રી ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈ ખાતે નોકરી કરતા હતા. પરંતુ વડીલોપાર્જિત 40 એકર જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું છે, જ્યારે મુંબઇ છોડીને પોતાના વતન ભરૂચ પરત ફરવાના અલ્પેશ નિઝામાના નિર્ણયને આવકારતા PM મોદીએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ તમારા વતનમાં રહીને જ ખેતી કરવાના નિર્ણયને દેશના યુવાઓ માટે પ્રેરણાનો સંદેશ મળશે. આ પ્રસંગે જિલ્લના વિવિધ વિભાગો દ્વારા 25 જેટલા સ્ટોલનું પણ પ્રદર્શન ઉભુ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યોજનાકીય લાભોના લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોના 28 જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના વરદહસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી ગ્રામજનોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા અગ્રણી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ, શુક્લતીર્થ ગામના સરપંચ, ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.