ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારના રહીશોએ વિવિધ સમસ્યા અંગે નેત્રંગ મામલતદારને આવેદન પત્ર આપી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચના નેત્રંગ પંથક સ્થિત જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, જ્યાં બિસ્માર રસ્તા અને તેમાં પણ ઊડતી ધૂળની ડમરીઓથી સ્થાનિકોમાં અસ્થમા જેવી બીમારીઓનો ખતરો મંડરાઈ રહ્યો છે. એટલું જ નહીં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીના મુખ્ય માર્ગ પર આવેલ ગટરલાઈનો પણ કચરાથી ભરાઈ જાય છે.
જેને કારણે ગટર લાઈનનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે. જે બાદ સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. સમગ્ર મામલે સ્થાનિકોએ જવાબદાર તંત્રમાં અવારનવાર રજૂઆતો પણ કરી છે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિકોએ નેત્રંગ મામલતદારને આવેદન પત્ર આપી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.