Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શું મુખ્યમંત્રી આવે ત્યારે જ રોડ રીપેર કરાવવાના ? તંત્રને વિપક્ષે પુછ્યો સવાલ

મુખ્યમંત્રીના આગમન પહેલાં તંત્ર આવ્યું એકશનમાં, યુધ્ધના ધોરણે રસ્તા પરના ખાડાઓ પુરવાનું શરૂ

X

ભરૂચના ખખડધજ રસ્તાઓથી પરેશાન શહેરીજનોની અચાનક લોટરી લાગી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરુવારના રોજ ભરૂચ આવી રહયાં હોવાથી વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે સાફસફાઇ તથા રસ્તાઓના પેચવર્કની કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રીના આગમન પહેલાં સફાળા જાગેલાં તંત્રને વિપક્ષના સભ્યોએ આડેહાથ લીધું છે.

રાજયના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરૂવારે ભરૂચ આવી રહયાં છે. તેઓ પંડીત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રીના આગમનથી ભરૂચવાસીઓની લોટરી લાગી છે. આખું ચોમાસુ ખખડધજ રસ્તાઓથી પરેશાન વાહનચાલકો અચાનક રસ્તાઓના રીપેરીંગની કામગીરી જોઇને આશ્ચર્યમાં મુકાય ગયાં છે. વારંવાર રજુઆત કરવા છતાં તંત્રના બહેરા કાને ન સંભળાતી વાત અચાનક કેવી રીતે તંત્રને સંભળાય ગઇ.. પણ તંત્ર વાહનચાલકો માટે નહિ પણ મુખ્યમંત્રી માટે રસ્તાઓનું રીપેરીંગ કરાવી રહી છે. ભરૂચ આવી રહેલાં મુખ્યમંત્રીને ભરૂચના ખાડાઓ ડીસ્કો ન કરાવે તે માટે તંત્ર દોડધામ કરી રહયું છે. મુખ્યમંત્રીના રૂટમાં આવતાં તમામ રસ્તાઓની સફાઇ કરાવી રંગરોગાન કરાવાય રહયું છે અને ખાડાઓ પુરવામાં આવી રહયાં છે. વાહનચાલકો પણ કહી રહયાં છે મુખ્યમંત્રી અમારા ભરૂચમાં રોજ આવે તો સારૂ..... તંત્રના આ વલણ અંગે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ તંત્રને આડે હાથ લીધું છે. તેમણે જણાવ્યું છે કે,છ મહિનાથી નગરપાલિકા સામે વિપક્ષ અને સ્થાનિકો દ્વારા અવારનવાર તૂટેલા રસ્તાના પેચ વર્ક અને સ્વચ્છતા માટેની રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ પણ કામગીરી સતા પક્ષ દ્વારા કરવામાં નથી આવી અને મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે પોતાની ઉણપ છુંપાવા ના પ્રાયસ ના ભાગ રૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. આવી જ કામગીરી તંત્ર આખુ વર્ષ નહિ કરે તો આંદોલન કરાશે.

Next Story