ભરૂચ : વિલાયત ગામની ધરતી બનશે નંદનવન, ગ્રાસીમ કંપની દ્વારા 1700થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું…
વિલાયતના સ્થાનિકો, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને કર્મીઓએ માત્ર 8.43 મિનિટમાં 1740 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામે ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષો વાવવાનો અનોખો રેકોર્ડ સર્જવામાં આવ્યો છે. વિલાયતના સ્થાનિકો, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને કર્મીઓએ માત્ર 8.43 મિનિટમાં 1740 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
જોકે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો વ્યાપ વધતા પર્યાવરણને મહત્વ આપવુ અનિવાર્ય બની જાય છે, ત્યારે છેલ્લા 22 દિવસમાં 20 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુસર વિલાયત ગ્રામ પંચાયત અને ગ્રાસીમ કંપનીના સયુંકત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માત્ર 8.43 મિનિટમાં 1740 જેટલા અલગ અલગ વૃક્ષનું રોપણ કરાયું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ એક રીતે રેકોર્ડ સ્થાપિત કરતા સ્થાનિકો, કંપની કર્મચારીઓ અને શાળાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ પ્રસરી જવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 22 દિવસમાં ગ્રાસીમ કંપની દ્વારા એક જ જગ્યાએ 20,450 વૃક્ષોનું રોપણ કરતા વિલાયત ગામની ધરતી નંદનવન બનશે, અને એમાં કોઈ બે મત નથી. ચોતરફ તાળની વાડ બનાવવામાં આવતા વૃક્ષોની સુરક્ષામાં વધારો થવા પામ્યો છે, ત્યારે આ પ્રસંગે વિલાયત ગામના સરપંચ હસન અલી, ગ્રાસીમ કંપની સી.એસ.આર. હેડ હેમરાજ પટેલ, એચ.આર. હેડ સુબોધ ગૌતમ, વાગરા ફોરેસ્ટર વી.વી.ચારણ, એપોક્ષી એચઆર હેડ અતુલ શાહુ, વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સેક્રેટરી હરીશ જોશી અને સંજીવ વર્મા સહિત કંપનીના હોદ્દેદારો, સ્થાનિકો અને મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.