ભરૂચ : મહિલા સશકિતકરણ અને અંગદાન અંગે જાગૃતિ માટે મહિલાઓની અનોખી કાર રેલી
મહિલા સશકિતકરણ અને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજયમાં બે સ્થળોએથી કાર રેલી યોજવામાં આવી રહી છે.
કહેવાય છે ને કે માણસે મૃત્યુ પછી પણ જીવીત રહેવું હોય તો અંગદાન કરવું જોઇએ. અંગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે રોટરી ડીસ્ટ્રીક 3060ના ઉપક્રમે મહિલાઓની અનોખી કાર રેલીનું આયોજન કરાયું...
ભરૂચની રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી કાર રેલીનું આયોજન કરાયું હતું. મહિલા સશકિતકરણ અને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજયમાં બે સ્થળોએથી કાર રેલી યોજવામાં આવી રહી છે. રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાંથી નીકળેલી કાર રેલી અમદાવાદ ખાતે ભેગી થશે અને અમદાવાદમાં એવોર્ડ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે. મૃત્યુ બાદ કેટલાક લોકોનું ચક્ષુદાન કરવામાં આવે છે પણ હવે લોકો શરીરના અન્ય અંગોનું પણ દાન કરતાં થયાં છે અને અંગદાન થકી અનેક લોકોને નવજીવન પણ પ્રાપ્ત થયું છે.
અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાઇ રહેલી રેલીમાં 28 કાર જોડાય છે અને આ તમામ કાર મહિલાઓ જ ચલાવી રહી છે. ભરૂચ ખાતેથી કાર રેલીને જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે કલબના પ્રમુખ નિર્મલસિંહ યાદવ, પ્રોજેકટ ચેરમેન પુનમ શેઠ, રોટરી કલબ ઓફ ભરૂચના પ્રમુખ વિક્રમભાઇ તથા અન્ય મહેમાનો અને કલબના સભ્યો હાજર રહયાં હતાં.