ભરૂચ : મણીપુરમાં 2 આદિવાસી બહેનો પર થયેલા અત્યાચાર મામલે મહિલા કોંગ્રેસ સમિતિમાં રોષ, કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન પત્ર...
મણીપુરમાં આદિવાસી બહેનો સાથે અત્યાચારનો મામલો, મહિલા કોંગ્રેસ સમિતિની બહેનોમાં જોવા મળ્યો ઉગ્ર રોષ.
મણીપુરમાં 2 આદિવાસી બહેનો પર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ મામલે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
મણિપુરમાંથી માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. પુરૂષોના એક જૂથે 2 યુવતીઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી ખેતરમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રાજયમાં તંગદિલી ફેલાઈ ગઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, દુષ્કર્મ અને મારપીટ બાદ મહિલાઓ બોલી પણ શકતી નથી. આ ઘટનાને પગલે સમગ્ર ભારતમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવીની અધ્યક્ષતામાં અપાયેલ આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે કે, આદિવાસી સમાજ પર થતા અત્યાચાર મણીપુરની સરકાર રોકી નથી શકતી, ત્યારે ત્યાંની સરકારને બરતરફ કરવી જોઈએ, અને આદિવાસી સમાજ અને ખાસ કરીને સ્ત્રીઓને પૂરતું સંરક્ષણ આપવાની માંગ કરી હતી.