/connect-gujarat/media/post_banners/102ab4c205c1733301f702711bf1b8c80cb5e5ae6e8365690cb939030e1432a0.jpg)
ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવાના અહેવાલ સામે આવ્યા
AAPના ચૈતર વસાવાએ કોંગી અગ્રણીઓનો માન્યો આભાર
કોંગ્રેસને સાથે રાખી ભરૂચ લોકસભા બેઠક જીતીશું : ચૈતર વસાવા
સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા અપાય પ્રતિક્રિયા
ભરૂચ બેઠક કોંગ્રેસ પક્ષને જ મળે તે માટે માંગણી અને લાગણી
ભરૂચ બેઠક પર કોંગ્રેસને મોકો આપવા હાઇકમાન્ડને કરાશે રજૂઆત
કોંગ્રેસ હાઈકમાન્ડનો આખરી નિર્ણય માન્ય રહેશે : ફૈઝલ પટેલ
INDIA ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર AAPના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ તેઓએ કોંગ્રેસનો આભાર માન્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવામાં આવે તે માટે દિલ્હી હાઇકમાન્ડમાં રજૂઆત કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી.
ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. INDIA ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર AAPના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડા-AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. તો બીજી તરફ, INDIA ગઠબંધન વચ્ચે સામસામે નિવેદનબાજીનો પણ દોર શરૂ થયો છે.
ભરૂચ લોકસભા બેઠક પર જાહેર કરાયેલા AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગેસના નેતા મલિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલનો આભાર માન્યો હતો. ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને સાથે લઈને ચાલશે અને ભરૂચ લોકસભા બેઠક જીતીને સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. વધુમાં ચૈતર વસાવાએ AAPની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
ગઠબંધન વિષે સીઆર પાટિલે શું કહ્યું સાંભળો.?
જોકે, ચૈતર વસાવાનું નામ જાહેર થયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવામાં આવે તે માટે દિલ્હી હાઇકમાન્ડમાં રજૂઆત કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને મળવાથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને ખુદ ફૈસલ પટેલ પણ નારાજ હોવાનું તેઓએ નિવેદન આપ્યું હતું. જોકે, હજુ ચૂંટણી પહેલા કેટલાક ફેરફાર થવાની શક્યતા છે, ત્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી સાથે દિલ્હી ખાતે હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. આ રજૂઆત બાદ હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય આવશે તેને માન્ય રાખવામાં આવશે તેવું પણ ફૈઝલ પટેલે જણાવ્યુ હતું.