મણિપુરમાં મહિલાઓ પર થયેલ દુષ્કર્મ-અમાનવીય કૃત્ય મુદ્દે ભરૂચમાં AAPનો વિરોધ…
મણિપુરમાં મહિલાઓ પર થયેલ સામુહિક દુષ્કર્મ અને અમાનવીય કૃત્ય મુદ્દે ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળ્યો છે. AAPના કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
મણિપુરમાં મહિલાઓ પર સામુહિક દુષ્કર્મના બનાવમાં કડક કાર્યવાહી કરવા અને સરકારને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી મણિપુરમાં હિંસા અંગે સમગ્ર દેશ ચિંતામાં છે.
પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદાસીન છે. તાજેતરમાં એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક રાક્ષસો 2 મહિલાઓ સાથે અમાનવીય કૃત્ય કરી રહ્યા છે, જે હિંસક પશુઓ પણ ન કરે. સભ્ય સમાજમાં આવા કૃત્યો અને આવા દાનવો માટે કોઈ સ્થાન ક્યારેય ન હોઇ શકે. દેશના સર્વોચ્ચ પદ ઉપર એક મહિલા બિરાજમાન હોય તેમ છતાંય દેશના એક ભાગમાં મહિલાઓ સાથે આ કક્ષાનું નિકૃષ્ટ કૃત્ય કરવાનું કોઈ કેવી રીતે વિચારી શકે ?
માટે આ ઘટનામાં કડકમાં કડક પગલાં લઈને સભ્ય સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે અને મણિપુરને શાંતિ-સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયેલા મણિપુરના મુખ્યમંત્રીને તથા કેન્દ્રની મોદી સરકારને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા AAP પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારોએ આ ધૃણાસ્પદ ઘટનાને વખોડી કાઢી છે.