ભરૂચ જિલ્લા પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. જીલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસ્યો છે જે ગત સિઝનની સરખામણીએ 42% વધુ છે.
ગત વર્ષ 2021 ની તુલના એ ભરૂચ જિલ્લામાં 42 ટકા વધુ વરસાદ નોંધાઇ ગયો છે. હજી શ્રાવણના સરવૈયા અને ભાદરવો ભરપૂર હોય જિલ્લામાં મેઘરાજા નવા જૂની કરી શકે છે.શનિવારે રાત્રી દરમિયાન પણ જિલ્લામાં વરસાદ જારી રહ્યો હતો. જેમાં ભરૂચમાં 2 ઇંચ, અંકલેશ્વરમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો.અન્ય તાલુકાઓમાં હાંસોટ અને વાલિયામા 17 મિમી, આમોદ અને નેત્રંગમાં 10 મિમી, ઝઘડિયા 14 મિમી, જંબુસર 8 મિમી અને વાગરામાં 7 મિમી વરસાદ નોંધાયો હતો.ભરૂચ અને અંકલેશ્વરમાં રાતે ભારે વરસાદના પગલે મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાયા હતા. અત્યંત જર્જરિત રસ્તાઓ ઉપર ખાડા ખબોચિયા ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોની તકલીફમાં વધારો થયો હતો.ભરૂચ જીલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 70% વરસાદ વરસી ચૂક્યો છે.