અંધજનો અને દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન
શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રીના સુમધુર કંઠે કથાનું રસપાન
ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લ્હાવો લેવા આમંત્રણ
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લ્હાવો લેવા સંસ્થા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા છે. આ સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમ્યાન રમત-ગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુર્નવસનને લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે. એટલું જ નહીં, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈપણ સંસ્થા ન હોવાથી આ સંસ્થા પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા, અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવવાના આશયથી પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઇ આગળ ધપી રહી છે. આવી જ કડીરૂપે આ સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે આયોજિત પોથીયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. શિવ મહાપુરાણ કથા તા. 24 ડિસેમ્બર-2025’ સુધી દરરોજ બપોરે 3થી 6 કલાક સુધી યોજાશે.
દેશ-વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત (શ્રીમદ્ ભાગવત) પર PHD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, સંસ્થાના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, માનદ મંત્રી પ્રદિપ પટેલ, ફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના ડિરેક્ટર યોગેશ પારિક, સામાજિક કાર્યકર ધનજી પરમાર, મારુતિસિંહ અટોદરિયા, દિવ્યેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લ્હાવો લીધો હતો.