ભરૂચ: કોમી એકતાના પ્રતિક સમાન કોઠા પાપડીના મેળાનું આયોજન, માનવ મહેરામણ ઉમટ્યું

કોઠા પાપડીના મેળાનો અનેરો મહિમા રહેલો છે અને આ મેળો કોરોનાના કારણે છેલ્લા પ૦૦ વર્ષ બાદ માત્ર બે વર્ષ માટે બંધ રહ્યો હતો

New Update
ભરૂચ: કોમી એકતાના પ્રતિક સમાન કોઠા પાપડીના મેળાનું આયોજન, માનવ મહેરામણ ઉમટ્યું

ભરૂચ જિલ્લામાં વર્ષના અંતિમ મહિનામાં આવતા માગશર માસના દર ગુરુવારે ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતા રૂપી કોઠા પાપડીના મેળાનો અનેરો મહિમા રહેલો છે અને આ મેળો કોરોનાના કારણે છેલ્લા પ૦૦ વર્ષ બાદ માત્ર બે વર્ષ માટે બંધ રહ્યા બાદ પુનઃ શરૂ થયો છે. ભરૂચના ભીડભંજન હનુમાનના મંદિર અને તેની સામે વલી સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહના પગલે મેળાનું મહત્વ અનેકગણુ વધી જાય છે.

શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા અહીં બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે.શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ ચઢાવે છે. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા. જે આજે પણ આ સ્થળે હાજર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે.અંદાજે 484 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે. મેળામાં માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ ઉભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિ‌ત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનુ કોઠુ તુટે તે પોતાનું કોઠુ બીજાને આપી દે છે. કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું ભુલતા નથી.ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે. જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058 માં થયાનું દર્શાવાયું છે. કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે.  

Latest Stories